Thursday, June 13, 2013

માન, સન્માન, બહુમાન, અભિમાન, અપમાન, સ્વાભિમાન અને અહંકાર!!!

માન, સન્માન, બહુમાન, અભિમાન, અપમાન, સ્વાભિમાન અને અહંકાર એ આપણી અને પરમાત્માની વચ્ચે આવી ઉભેલા સૌથી કપરા ચઢાણવાળા પર્વતોની હારમાળા છે. જેને પાર કરનાર પર્વતારોહી જ પરમાત્માને પામે છે. તેને જરા સમજવા આપણે આત્મ મંથન કરીએ.

માન [Respect] એટલે આપણા મનમાં જાણ્યે અજાણ્યે અનેકદ્વારા વાવવામાં આવતા અહંકારના નાના અમથા બીજ. જેમાંના દરેક બીજ દરેક વખતે વૃક્ષ બનતા નથી. પરંતુ જ્યાં આપણા મન દ્વારા એને પુરતા હવા પાણી અને ખાતર મળી રહે તે બીજ, અહંકારના વૃક્ષ બની ખિલી ઉઠે છે.

સન્માન [Fete] અને બહુમાન [Honour]  એટલે આવા બીજના વાવેતરની સામુહિક ખેતી. ;એકબીજાના અહંકારને પોષવા માટેનું સામાજિક રીતે સ્વીકૃતિ પામેલું સ્વરૂપ એકલે બહુમાન. સૈનિકોને અપાતા વીર ચક્રો, તેજસ્વી વિદ્યાર્થીને અપાતા ઈનામો અને સામાજિક સેવકોના સન્માન સમારંભો એ આવા જ અહંકાર પોષક પ્રવૃતિના ઉદાહરણો છે. આવા સ્વરૂપોને સામાજિક માન્યતા એટલે મળેલ છે કે જીવ માત્ર મૂળભૂત રીતે જન્મથી જ અહંકારી છે... અહંકારથી મુક્ત થવું એ જીવનનો ખરો ઉદ્દેશ છે... પરંતુ આપણે સામાજિક પ્રવૃતિમાં આપણે એકબીજાના અહંકારને પોષવામાંથી જ નિવૃત નથી થતા તો પછી પોતાના અહંકારથી મુક્ત થવામાં પ્રવૃત કેવી રીતે થઈ શકીશું.

આ સામાજિક વાતાવરણમાં જ આપણા અભિમાન [Self-respect/ Pride] નો જન્મ થાય છે. અભિમાન હંમેશા મમત્વ સાથે જોડાયેલો છે. આપણને આપણી વસ્તુ, વિચાર, વ્યક્તિ કે વ્યક્તિત્વના ગુણધર્મોનો જ અભિમાન હોઈ શકે. જ્યાં મમત્વનો ભાવ નથી ત્યાં અભિમાન નથી. ઉદાહરણ તરીકે ઓબામા અમેરિકાનો વડાપ્રધાન થાય તેનાથી આપણને ગર્વ કે અભિમાન ન હોય પરંતુ તેની જેમ સુનિતા વિલયમ્સ અવકાશી યાત્રા પર જાય તેનું એક ભારતીય તરીકે આપણને ગર્વ અને અભિમાનની લાગણી હોય. કારણ કે સુનિતા એ મારા દેશની વ્યક્તિ છે. જ્યારે આવા મારા પણાનો અવકાશ રહેશે ત્યારે ત્યારે આ અભિમાન આવશે. આ અભિમાનને જિતવાનો સૌથી સરળ રસ્તો મમત્વનો નાશ માત્ર છે. જ્યારે મારુ કશું નથી એવો ભાવ આવશે ત્યારે આ અભિમાનના સાગરને આપણે તરી જઈશું.

હવે જ્યારે આ અભિમાન છે ત્યારે તેને નુકશાન થવાનો ભય છે એટલે કે અપમાન [Disrespect] ને સ્થાન છે. જ્યાં માન, સન્માન કે બહુમાનની ઝંખના છે ત્યાં અપમાન પણ સિક્કાની બીજી બાજુ તરીકે ચોક્કસ અનિવાર્યપણે ઉપસ્થિત જ છે. ભગવાન બુદ્ધનો એક પ્રસંગ યાદ આવે છે. ભગવાન બુદ્ધ જ્યારે તેના ભક્તો સાથે સભામાં હતા ત્યારે એક વ્યક્તિ આવી ભગવાન બુદ્ધને અપશબ્દો વડે ગુસ્સાથી ધિક્કારવા લાગ્યો ત્યારે ભગવાન બુદ્ધ તેની સામે સ્મિતપૂર્વક સાંભળી રહ્યા. આ જોઈ તેના ભક્તોને આશ્ચર્ય થયું. તેઓએ કુતુહલપૂર્વક ભગવાન બુદ્ધના આ અસહજ વર્તન વિશે પુચ્છા કરી ત્યારે ભગવાન બુદ્ધે એટલું જ કહ્યું કે કોઈ તમારા માટે ભેટ સોગાદો લાવે પણ જ્યાં સુધી તમે તેનો સ્વીકાર ન કરો ત્યાં સુધી એ તમારી નથી થતી.

આ અપમાન સાથે જ સ્વાભિમાન [Self-Esteem]ની વાત સંકળાયેલી છે. સ્વાભિમાન એ અભિમાનની જેમ મમત્વને બદલે સ્વ સાથે સંકળાયેલ છે. સ્વાભિમાન એ મમત્વના વિષયના અભિમાનના જુદા જુદા ટુકડાને જોડી બનાવેલી સ્વની આકૃતિ માત્ર છે. આપણે હંમેશા આ આકૃતિને જ જોવા માગીએ છીએ. જ્યારે આનાથી અલગ સ્વની કોઈ અણગમતી આકૃતિ સામે રજૂ થાય છે ત્યારે આપણા આ સ્વાભિમાનરૂપી સ્વની આકૃતિને ઠેસ પહોંચે છે. આથી આ અણગમતી આકૃતિને રજૂ કરનાર વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતી સામે આપણને અરુચિની લાગણી જન્મે છે. જે આપણા સ્વને પોસે છે અર્થાત્ અહમ્ ને પોસે છે. આમ સીધા સીધા શબ્દોમાં કહું તો સ્વાભિમાન એ અહંકાર [Ego]ના કદરૂપા ચહેરાને પહેરાવેલો સુંદર મુખુટો માત્ર છે. કારણ કે તે સ્વને કેન્દ્ર સ્થાને રાખી દોરેલ આપણી પોતાની દુનિયાનું વર્તુળ માત્ર છે. અહંકારના હોવા માટે કોઈ વસ્તુ કે વિષય હોવું જરૂરી નથી માત્ર સ્વનું હોવું જ પૂરતું છે. એટલે કે અહંકાર કોઈ વસ્તુ, વિષય, વસ્તુનો ન હોય પરંતુ માત્ર સ્વનો જ હોય.

આ અભિમાન, સ્વાભિમાન અને અહંકાર એ આપણી વચ્ચે એટલે આવે છે કેમ કે આપણે એકબીજાને કુવા, ખાબોચિયા, નદી, નાળાં, તળાવ, સરોવર, સાગર, સમુદ્ર કે મહાસાગર તરીકે જોઈ એ છીએ, ઓળખીએ છીએ, સંબોધીએ છીએ, સમજીએ છીએ. જ્યારે આપણે એકબીજાને-પોતાની જાતને આ કુવા, ખાબોચિયા, નદી, નાળાં, તળાવ, સરોવર, સાગર, સમુદ્ર કે મહાસાગરને બદલે પાણી તરીકે જોઈતા થઈ જઈશું ત્યારે આપણી એકબીજા વચ્ચેની ભેદરેખાનો નાશ થશે. આપણું પોતાનું અને બીજાનું એમ અલગ-અલગ સ્વતંત્ર અસ્તિત્વ નહિ રહે. હું અને તમે બે ને બદલે એક બનીશું. જ્યારે હું અને તું એકબીજાના પર્યાય અને સમાનાર્થી હોય ત્યાં સ્વનો અલગ વિચાર ન હોય. અને જ્યાં સ્વ અને પર ન હોય ત્યાં આ માન, સન્માન, બહુમાન, અભિમાન, અપમાન, સ્વાભિમાન અને અહંકાર જેવા કોઈ શબ્દોને ડિક્ષ્નેરીમાં સ્થાન નથી હોતું. ત્યાં સર્વનો ભાવ હોય. સર્વનો વિચાર હોય.

આમ, સ્વને સર્વ માનવાને બદલે સર્વમાં સ્વને ભેળવી દેતાં જ સર્વેસર્વા સનાતનને-સત્વને-સત્યને પામી જઈશું. જ્યારે એકબીજાને પાણી તરીકે, સાર તત્વ તરીકે, આત્માના તરીકે જોઈતાં, ઓળખતાં, સંબોધતાં અને સમજતાં થઈ શકીશું ત્યારે જ આપણે અનંતના ભાવ સાથે પૂર્ણતાને પરમાત્માને પામી મુક્ત થશું..! સર્વને મુક્તિની શુભકામના સહ અસ્તુ! 

1 comment:

Anonymous said...

good