Wednesday, September 18, 2013

રાગ અને દ્વેષ

રાગ-દ્વેષ[Attachment and Malevolence….] સૌથી વધુ સાંભળેલા પણ બહુ ઓછા સમજેલા દ્વંદ્વોમાંનો એક દ્વન્દ્વ. એક સામાન્ય સમજ મુજબ રાગ એટલે કોઈ વ્યક્તિ પ્રત્યેનો પ્રેમ ભાવ અને દ્વેષ એટલે કોઈ વ્યક્તિ પ્રત્યેનો દુર્ભાવ. પરંતુ હું આ વ્યાખ્યા કે ખ્યાલને થોડી વધારે વિસ્તૃત અને બહોળી કરવા માંગુ છું. રાગ-દ્વેષ માત્ર કોઈ વ્યક્તિ પૂરતો મર્યાદિત નથી હોતો પરંતુ આ ઉપરાંત તે વસ્તુ, વિષય, વિચાર કે પરિસ્થિતિ પ્રત્યે પણ હોય છે. અર્થાત્ આ રાગ-દ્વેષ દુનિયાની દરેક બાબતો સાથે સંકળાયેલ છે. મને ગુલાબજાંબુ બહુ ભાવે!” (વસ્તુ) મને ક્રિકેટ વિના ન ચાલે!” (વિષય) મને સસ્પેંસ ફિલ્મો બહુ ગમે!”(વિચાર) મને ઉનાળાની ગરમીથી ખુબ ચિડ ચડે.” (પરિસ્થિતી) આવી વાતો આપણે અવારનવાર સાંભળતા રહ્યા છીએ. આ બીજું કંઈ નહિ પણ રાગ-દ્વેષના જ જીવતા જાગતા દાખલાઓ છે. સવારથી સાંજ સુધી કોઈકને કોઈક રીતે આપણે આમાં બંધાયેલા છીએ.

જરા ગેરસમજ પણ દૂર કરીએ અને થોડું વધુ સ્પસ્ટ કરીએ. મા એના દિકરાને લાડ લડાવે એ રાગ નથી અને ઉકરડાની દુર્ગંધ આવતા નાક આડો રૂમાલ રાખવો એ દ્વેષ નથી. પરંતુ દિકરો સામે ન હોવા છતાં તેના વિચારમાં સતત મગ્ન રહેવું એ એક માતાનો તેના પુત્ર પ્રત્યેનો રાગ છે અને દુર્ગંધ ન આવવા છતાં ઉકરડો યાદ કરીને ઉબકા આવવા એ ઉકરડા પ્રત્યેનો દ્વેષ છે. એટલે કે કોઈ વ્યક્તિ, વસ્તુ, વિષય, વિચાર કે પરિસ્થિતિ સાથે જોડાવું એ રાગ નથી પરંતુ તેનાથી વિખૂટા પડ્યા પછી પણ તેની સાથે મનનું જોડાયેલા રહેવું એ ચોક્કસપણે રાગ છે. આથી ઉલટું કોઈ વ્યક્તિ, વસ્તુ, વિષય, વિચાર કે પરિસ્થિતિ સાથેથી વિખૂટા પડવું એ દ્વેષ નથી પરંતુ તેની સાથે રહીને પણ મનથી અલગ જ હોવું એ ચોક્કસપણે દ્વેષ છે.

આ બાબતે શંકર ભગવાનને યાદ કરવા ઘટે. પાર્વતી પ્રત્યે રીઝવવા સર્જેલ માયાને લીધે કામદેવને પોતાના ત્રીજા નેત્રથી ભસ્મીભૂત કરનાર આ ભોળાનાથ જ્યારે પાર્વતી સાથે જોડાય છે ત્યારે તેને પાર્વતીથી અલગ જોવા મુશ્કેલ થઈ જાય છે જેને આપણે અર્ધનરનારેશ્વરના રૂપે ઓળખીએ છીએ. આ એ બાબત સૌથી સરળ રીતે સમજાવે છે કે મહાદેવને પાર્વતી પ્રત્યે રાગ પણ નથી અને દ્વેષ પણ નથી. કારણ કે જોડાણ અને વિચ્છેદ એ સીધી રીતે રાગ અને દ્વેષ દર્શાવતા નથી પણ રાગ એ વિખૂટા પડ્યા પછીનું જોડાણ છે અને દ્વેષ એ જોડાણ સમયનું વિચ્છેદ.

રાગ એ વ્યક્તિ, વસ્તુ, વિષય, વિચાર કે પરિસ્થિતિ સાથેનું સકારાત્મક આકર્ષણ છે અને દ્વેષ એ આ બધા પ્રત્યેનું નકારાત્મક આકર્ષણ છે (અર્થાત્ અપાકર્ષણ છે). ગણિતની ભાષામાં રાગ એ ધન સંખ્યા છે અને દ્વેષ એ ઋણ સંખ્યા. આ સંખ્યાનું મુલ્ય આ ભાવનાઓનું એટલે કે આકર્ષણ-અપાકર્ષણનું માપદંડ બતાવે છે. આ બન્નેને આધ્યાત્મ જગતમાં સૌથી પ્રથમ પગલે આવતાં કાંટા કહેવાય છે. કારણ કે જ્યારે કોઈ વ્યક્તિ પ્રભુ તરફ વળવા પ્રયત્ન કરે છે તો તેને પોતાના સ્વજનો પ્રત્યેનો રાગ અને દુર્જનો પ્રત્યેનો દ્વેષ જ રોકી રાખે છે. આથી જે લોકો આને પાર કરી જાય છે તેની પ્રભુ પ્રત્યેની સફર શરૂ થાય છે.

આ બન્નેને પાર કરવા માટે તેના કારણોને પણ જરા સમજી લઈએ. જે વ્યક્તિ, વસ્તુ, વિષય, વિચાર કે પરિસ્થિતિ એ આપણી ઈચ્છા અને અહંકારને અનુરૂપ છે તેના માટે આપણને રાગ જન્મે છે. જ્યારે આનાથી વિપરિત બને ત્યારે દ્વેષ જન્મે છે. જેમ કે શિક્ષકનું કહ્યું માનતા આજ્ઞાંકિત વિદ્યાર્થી પ્રત્યે શિક્ષકને રાગ જન્મે અને તેના કહ્યામાં ન રહેનારા વિદ્યાર્થીઓ પ્રત્યે તેને દ્વેષ જન્મે છે. પરંતુ એક અજાણી સ્કૂલનો એક અજાણ્યો વિદ્યાર્થી કોઈ શિક્ષકને કોઈ બસ મુસાફરીમાં જોવા મળે તો તેના પ્રત્યે શું શિક્ષકને રાગ કે દ્વેષ હશે ખરા? નહિ હોય... કારણ કે તે વિદ્યાર્થી પ્રત્યે તેને કોઈ અપેક્ષા કે ઈચ્છા નથી. જો આપણે આ સમગ્ર વિશ્વના દરેક વ્યક્તિ, વસ્તુ, વિષય, વિચાર કે પરિસ્થિતિ પ્રત્યેની આપણી અપેક્ષાને શૂન્ય કરીએ તો આ રાગ-દ્વેષને જીતી જવાય. આ અપેક્ષા શૂન્ય પરિસ્થિતીને જ વૈરાગ્ય કહે છે. પરંતુ દરેક સંસારી માટે નરસિંહ મહેતા જેવો વૈરાગ્ય લાવવો શક્ય નથી. આથી જરાં બીજા રસ્તા વિશે વિચારીએ.

આપણને આ રાગ-દ્વેષ આપણા પરિચિતોમાંના જ કોઈ વ્યક્તિ, વસ્તુ, વિષય, વિચાર કે પરિસ્થિતિ પ્રત્યે હોઈ શકે. આપણા માટે અપરિચિત વ્યક્તિ, વસ્તુ, વિષય, વિચાર કે પરિસ્થિતિ પ્રત્યે આ ભાવ આવવા અશક્ય છે. જેમ કે એક સામાન્ય વ્યક્તિને સોડિયમ હેક્ઝાક્લોરારિડની ગંધ પ્રત્યે રાગ-દ્વેષ કેવી રીતે થાય? સાયન્સના વિદ્યાર્થીને કદાચ બાયોલોજી કે સાયકોલોજી પ્રત્યે રુચિ-અરુચિ હોય પણ વેક્ષિલોલોજી પ્રત્યે રાગ-દ્વેષ કેમ હોય? કેમ કે આમાં ખબર જ નથી કે આ સોડિયમ હેક્ઝાક્લોરારિડ કે વેક્ષિલોલોજી એટલે શું? વળી, જે પરિચિત વ્યક્તિ, વસ્તુ, વિષય, વિચાર કે પરિસ્થિતિ માટે આપણને રાગ-દ્વેષ થાય છે તે પણ આપણી બુદ્ધિને આભાર છે. કારણ કે તે આ પરિચિત વ્યક્તિ, વસ્તુ, વિષય, વિચાર કે પરિસ્થિતિ સાથેના જાણેલા અનુભવને યાદ રાખે છે અને મનને યાદ અપાવતું રહે છે. જો આપણે વિશ્વના દરેક વ્યક્તિ, વસ્તુ, વિષય, વિચાર કે પરિસ્થિતિ સાથે આપણને થયેલા કે ન થયેલા દરેક અનુભવને ભૂલી જઈએ અને મનને મેલું ન કરીએ તો આ રાગ-દ્વેષને નાથી શકાય. એક બાળકની જેમ રોજ એક તૂટેલા રમકડાંને સાથે લઈને રડતાં રડતાં સૂવા છતાં રોજ સવારે તે તૂટેલાને નવાં રમકડાં સમજીને તેની સાથે નવેસરથી રમવા મંડીએ તો આ મનને રાગ-દ્વેષથી દૂષિત કર્યા વિના કાયમને માટે નિર્મળ અને નિખાલસ રાખી શકીએ અને જીવનમાં મનની અંદરના આનંદને નિસંદેહ માણી શકીએ.

જો તમે આમાનું કંઈ જ ન કરી શકો એટલે કે તમારા રાગ-દ્વેષને જીતી ન શકો કે તેને નાથી ન શકો તો તેને એક નવી દિશા તરફ વાળી તો ચોક્કસ શકો જ. તમે તમારા રાગ ભાવને પ્રભુ તરફ વાળજો અને તમારા દ્વેષ ભાવને આ સંસારી તત્વો તરફ.... બસ પછીનું બધું પ્રભુ સંભાળી લેશે... તમામ દ્વન્દ્વ ભાવમાંથી સર્વેની મુક્તિ અને સ્થિતપ્રજ્ઞતાની પ્રાપ્તિ સાથેની પ્રાર્થના સહ અસ્તુ! 

No comments: