જો કોઈ જંગલમાં ઉગેલા ઝાડને કાપીને, તેમાંથી કાગળ બનાવીને, તે કાગળના મોટા પોસ્ટર બનાવીને, તેમાં મોટા અક્ષરે લખે કે ‘વૃક્ષો બચાવો!’ તો સમજજો કે તે પ્રાણી મનુષ્ય છે! કારણકે કુદરતની એ માત્ર કૃતિને સમજવા અને સમજાવવા મહાભારતના મહાકાવ્યો પણ ટૂકાં પડે છે! ખરુ ને?
ઈશ્વરના સ્વરૂપ તરીકે જન્મેલા બાળક મનમાં વિવિધ દોષારોપણો કરીને તે મનને મલીન કર્યા બાદ જ્યારે જાતી જીદંગીએ આ બાબતનું ભાન થાય તો કોઈ સદગુરુને શોધી તે મલીન-મનને શુદ્ધ કરવા (બાકી બચેલી) જીંદગીભર મથતાં મનુષ્યોનો આ પૃથ્વી પર તૂટો છે ખરો?
મનનાં નવેનવા કોરા કાગળ પર બુદ્ધિની પેન્સિલ વડે વારંવાર રાગ-દ્વેશ, ઈર્ષા- કટૂતા, લોભ-લાલચ, મોહ-ક્રોધ અને અહંકાર જેવા અનેક માયાવી ખોટાં એકડાં ઘુંટી-ઘુંટીને પછી જીંદગીના વર્ષોને છેક રબ્બરની જેમ ઘસી-ઘસીને તે મનનાં મેલાં કાગળને પહેલાં જેવો નિર્દોષ નિર્મળ શુદ્ધ બનાવવા મથવું, મથતાં રહેવું... શું છે આ બધું...?
હાં, હું એ જ મનુષ્ય છું! આજે વિચાર કરુ છું કે શું આ રીતે જીંદગીને આમ જ વેડફવવા જ મેં જન્મ લીધો’તો? મારા જીવનનો ધ્યેય શું? શું પામવાને મથું છું આમ રોજ-બરોજ? શેના માટે, કેના માટે? માનવ દેહના ગુણગાન ગાવા અને ખાવા-પીવા સિવાયની કોઈ જિદંગી છે ખરી?
કહેવાય છે કે “માણસ માત્ર, ભૂલને પાત્ર” પણ મને લાગે છે કે “હું.... માણસ, માત્ર ભૂલને પાત્ર!” ભ્રમમાં રહીને કરેલી ભૂલને માનવ પણ માફ કરે પણ ભાનમાં રહીને કરેલી ભૂલને ભગવાન પણ કેમ માફ કરે?
સંતો કબીરોએ જેને છોડવા માટે વારંવાર સમજાવ્યું એ દરેક ગુણોને મારી સાથે જોડવા, હું સતત દોડવા મથતો રહું છું... અને મારા મોક્ષ પર કટાક્ષ કરતો રહું છું! મારાથી મોટો મારો કોઈ દુશ્મન હશે ખરો? માયાથી અતૃપ્ત અને અહંકારથી સંતૃપ્ત એવા મને કોઈ મુક્ત કરી શકે ખરો?
ઈચ્છાઓનો અંત નથી,
હું, મનુષ્ય! મહંત નથી.
અધૂરો ઘડો હું એકડો,
શુન્ય નથી, અનંત નથી!
હું, મનુષ્ય! મહંત નથી.
અધૂરો ઘડો હું એકડો,
શુન્ય નથી, અનંત નથી!
જ્યાં પાપ-પુણ્ય, હરખ-શોક, સુખ-દુઃખ, ઉચ્ચ-નીચ્ચ, માન-અપમાન, મિત્ર-શત્રુ જેવી દરેક ધન અને ઋણ સંખ્યાઓ નથી એ શુન્ય, નિરાકાર, ગુણાતિત (ના સગુણ કે ના દુર્ગુણ) મન:સ્થિતી જ મનુષ્યને મહંમદ બનાવે છે... તો પછી આ સંસારરૂપી સમતલમાં સંકર સંખ્યાના વિવિધ મુલ્યો લઈને હું અજ્ઞાત સંખ્યાની જેમ ક્યાં સુધી આમ ભટકતો રહીશ?
બધું જાણવા, જોયા, સમજ્યા છતાંય આ ભૂલભૂલામણીમાં સંતા-કૂકડી રમતાં રમતાં પોતાની જાતથી જ વિખૂટાં પડેલા મને હું ક્યારેય પામી શકીશ? નામ, ચહેરા, લાયકાતને જ મારી ઓળખાણ સમજતો હું મને ક્યારેય સમજી શકીશ? ઓળખી શકીશ?
જાતને જ પિછાણું, પણ જાતને ન જાણું હું!
મુરખ બની હું માણસ, માયાને પણ માણું હું!
કર્મોનો દોષ કાઢતો ને નક્ષત્રોમાં ઉપાયો શોધતો હું મુરખ નથી તો શું? જ્ઞાનની આંખો પર અજ્ઞાનની ચાદર ઓઢી, પ્રમાદની શૈયા પર આળોટતો હું ક્યારે મારા ઉદ્દેશને સમજી તેમાં પ્રવૃત થઈશ?
માખી-મચ્છર જેવી ટૂંકી દ્રષ્ટી લઈને હું મારા ભવિષ્યને ખૂબ જ અંધકારમય રાત્રી સિવાય કશીય રીતે જોઈ નથી શકતો. શું આ રાત્રિ જ એ વાતની ખાત્રી નથી કે આને પેલે પાર સવાર પણ છે? કે પછી જાગ્યા ત્યારથી સવારના નિયમ મુજબ મારે જ આ માયાવી ઊંઘમાંથી ઉઠવું રહ્યું?
પણ બુદ્ધિ............. આ બુદ્ધિશાળી બુદ્ધું, ઊંધું નાખીને કોઈ સદ્ગુરૂ આવીને તેને આ માયાવી ઊંઘમાંથી ઉઠાડે ત્યાં સુધી સુતા રહેવાનું નક્કી કરીને નશકોરાં બોલાવે છે તેનું શું??
એરીસ્ટોટલે મુજ મનુષ્યને સામાજિક પ્રાણી કહ્યો છે પણ આખરે કહ્યો તો પ્રાણી જ ને? એટલે જ હું મનુષ્ય, માણસ છું એ વાતને વારંવાર મારે યાદ કરવી પડે છે! યાદ અપાવવી પડે છે! યાદ રાખવી પડે છે! આથી જ મારા શબ્દોમાં હું મુજ મનુષ્યને સામાજિક પ્રાણી કરતાં સામાજિક પશુ કહેવાનું વધારે પસંદ કરીશ, કારણ કે માયાવી વૃતિઓને સામાજિક સંસ્કૃતિઓનું નામ આપીને વિકૃતિથી ભરેલા પશુ જેવી પ્રવૃતિમાં મગ્ન રહેતાં મુજ મનુષ્યને બીજી કઈ ઉપમા આપી શકાય?
અન્યોની નિંદા કરવામાં જેટલી જિંદગી બગાડી તેટલી જ પોતાના દોષોને દૂર કરવામાં લગાડી હોત તો? અન્યોને સલાહ આપવામાં જેટલી જિંદગી બગાડી તેટલી જ પોતાના ઉથ્થાનમાં લગાડી હોત તો? અન્યોના વિષયોમાં રસ દાખવવામાં જેટલી જિંદગી બગાડી તેટલી જાતને પિછણવામાં લગાડી હોત તો? અન્યથી રિસાવા-રિઝાવામાં જેટલી જિંદગી બગાડી તેટલી પોતાને સુધારવામાં લગાડી હોત તો? અન્ય વિષે વિચારવામાં-ચિંતામાં જેટલી જિંદગી બગાડી તેટલી આત્મ-ચિંતનમાં લગાડી હોત તો? અન્યની માહિતી જાણવા-જણાવવામાં જેટલી જિંદગી બગાડી તેટલી પોતાની જાતને જાણવામાં લગાડી હોત તો?
... તો કદાચ આ એક જન્મારો જ મને મારા માટે બસ થઈ પડત!!! કે નહિ?
No comments:
Post a Comment